ડાંગમાં માનવી અને પશુઓના રક્ષણ માટે વાઘ દેવતાની પરંપરાગત રીતે પૂજા કરી ઉજવણી કરવામાં આવી.

 

ડાંગમાં  માનવી અને પશુઓના રક્ષણ માટે વાઘ દેવતાની  પરંપરાગત રીતે પૂજા કરી ઉજવણી કરવામાં આવી.

ડાંગ જિલ્લામાં આજે વાઘ બારસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગામનાં છેવાડે આવેલા વાઘ દેવની મૂર્તિની પુજા કરીને આદિવાસી લોકોએ ધન્યતા અનુભવી હતી.

ડાંગી પ્રજા માટે વાઘ બારસ અતિ મહત્વનો તહેવાર ગણાય છે. પ્રકૃતિ સાથે જોડાયેલા આદીવાસીઓ જંગલનાં પ્રાણીઓને રીઝવવા માટે આસો વદનાં દિવસે વાઘ બારસની ઉજવણી કરે છે. જંગલનાં પ્રાણીઓથી માનવી અને તેના પાલતુ પ્રાણીઓનું રક્ષણ થાય તે માટે વાઘ બારસની ઉજવણી અતિ મહત્વની ગણાય છે. 

આદિવાસીઓ ઝાડ, પાન અને વાઘદેવને પૂજે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતીને વળગી રહેનારા આદિવાસી પ્રજાએ ઉત્સાહ,ઉમંગ અને આસ્થા સાથે વાઘ બારસની ઉજવણી કરી હતી. વાઘબારસના દિવસે ગામના સૌ કુટુંબીજનો એકઠા થઈને વાઘદેવતાની પૂજા કરે છે.

સવારના સમયે આદિવાસી લોકો ગામ કે સીમનાં વાઘદેવને ફુલહારથી સજાવે છે,ત્યારબાદ નારિયેળ વધેરીને પૂજાની શરૂઆત કરે છે. વાઘદેવતાને 4 વર્ષ સુધી સંળગ મરઘાની બલી ચડાવવામાં આવે છે.અને પાંચમા વર્ષે બકરાની બલી ચડાવાય છે. 

વાઘ બારસનાં દિવસે ઘરનાં પશુઓની પુજા સાંજના સમયે ગામનાં પાદર પાસે બધા ગ્રામજનો એકઠા થાય છે. બધા જ લોકો પોતાના ગાય બળદોને એકઠા કરીને તેમની પૂજા કરે છે.ગામના પાંચ માણસો, પથ્થરના પાંચ દેવતા લઈને ગાયોની ફરતે પાંચ ફેરા ફરે છે. 

આ પથ્થર પર નાગ, વાઘ, ગાય, રીછ અને માણસનાં ચિહ્નો દોરેલા હોય છે,ત્યારબાદ દૂર રસ્તા પર એક જગ્યાએ ઈંડુ અને મરઘીનું નાનુ બચ્ચું મુકવામાં આવે છે. ત્યારબાદ ઢોરને તે જગ્યા પરથી દોડાવવામાં આવે છે. ઈંડુ ફૂટી જાય કે બચી જાય તેના ૫૨થી આખું વરસ કેવું જશે તેની ડાંગી આદિવાસી ગ્રામજનો ધારણા કરતા હોય છે. 

Post credit: Gujaratgardian 

Post a Comment

0 Comments